કચ્છ ભુજથી પધારેલા માયાભક્તોનું પાટણમાં ભવ્ય સ્વાગત – શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ખાતે રાત્રિભર ભજન-કીર્તન અને સેવા યજ્ઞ

કેપિટલ મેસેજ, ન્યુઝ
ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ શહેરમાં તારીખ ૧૬-૦૪-૨૦૨૬ ગુરૂવાર પાટણ સ્થિત સમગ્ર જીવસૃષ્ટિ પશુ પંખી મનુષ્ય વનસ્પતિને પાણી મળે અને અસ્પૃશ્યતા નિવારણ સામાજિક સમરસતા માટે પોતાના દેહનું બલીદાન આપનાર બત્રીસ લક્ષના મહાપુરુષ શ્રી વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલ ખાતે કચ્છ ભુજથી શ્રી રામદેપીર મંડળ રાવળવાડી ભુજના માયાપ્રેમી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લકઝરી બસ દ્વારા પધાર્યા હતા. મહિલાઓ, વડીલો, યુવાનો અને બાળકો સહિત તમામ ભાવિકોએ ભક્તિભાવ, સાદગી અને શિસ્તનો અનોખો પરિચય આપ્યો હતો.
આ ભાવિકો અગાઉ કચ્છ ભુજ નિવાસી પૂર્વ મામલતદાર ડી. કે. રાજપાલ દ્વારા મંદિર અને સંકુલની મુલાકાત લઈ આ પવિત્ર સ્થાન વિશે માહિતગાર કરાયા બાદ અહીં શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે પધાર્યા હતા. તેમના દ્વારા રામાપીરના પવિત્ર જ્યોત પાઠ સાથે ભજન-કીર્તન અને ધાર્મિક સત્સંગનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો તથા પાટણના સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભક્તિમાં જોડાયા હતા.

પાટણ શહેરના માયાપ્રેમી સેવકો, આગેવાનો અને સંસ્થા હોદ્દેદારો દ્વારા ભાવિકોના આરામ અને સુવિધા માટે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫ ગાદલાની વ્યવસ્થા, તેમજ આખી રાત ચા ઉપલબ્ધ રહે તે માટે ૮ લીટર દૂધની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવાભાવના ઉદાહરણરૂપ પાટણવાસીઓ રાત્રે લગભગ ૨ વાગ્યા સુધી હાજર રહી ભાવિકોની સેવા અને સંભાળમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા હતા. “સેવા એ જ સત્ય ધર્મ” ના મૂલ્યને સાકાર કરતી આ સેવા પ્રવૃત્તિ સૌ માટે પ્રેરણારૂપ બની.
આ અવસરે સંસ્થાનાં હોદ્દેદાર ચેતનભાઈ સાલવી સરાઈ તથા આગેવાનો મહેશભાઈ સુતરીયા શિવમ સોસાયટી, પ્રવિણભાઈ એમ. સોલંકી બગવાડા, હસુભાઈ ડી. સોલંકી, અનિલભાઈ કે. સોલંકી, કિરીટ પી. પરમાર, સંજય બી. પરમાર, ઉત્તમભાઈ પરમાર મણુંદ, મનોજભાઈ શિયોલા સરાઈ, જીતેન્દ્રભાઈ જાદવ સરાઈ, દુઃખવાડા નારણભાઈ મકવાણા, હર્ષદભાઈ પાટણકર, હર્ષદભાઈ કેશણી, પરેશ ઝાલા સરાઈ પાટણ સહિતના અનેક સામાજિક કાર્યકરો હાજર રહી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા.

શ્રી વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલ સાથે સંકળાયેલા ચેતનભાઈ સાલવી દ્વારા જણાવાયું હતું કે મંદિર ખાતે દિવસ દરમિયાન ઓફિસ કાર્યરત રહે છે અને બહારગામથી આવતા ભાવિકોને જરૂરી માર્ગદર્શન તથા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઇપણ જરૂરિયાત માટે તેઓનો સંપર્ક નંબર +91 94264 70678 પર સંપર્ક કરી શકાય છે.
આ દરમ્યાન કચ્છ ભુજથી આવેલા ભાવિકોએ મંદિર નિર્માણ કાર્ય અંગે પૂછપરછ કરતા ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પૂર્વ મામલતદાર ડી. કે. રાજપાલના રિપોર્ટ અનુસાર વિવાદિત વ્યક્તિ ધીરજ ખેંગારભાઈ સોલંકી દ્વારા તકેદારી આયોગમાં અરજી કરવાના કારણે હાલ નિર્માણ કાર્ય અટકેલ છે. તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ અહીં મુલાકાત દરમિયાન મંદિરના ફેઝ-૨ના નિર્માણ કાર્યને ઝડપથી શરૂ કરાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલી ગુજરાત રાજ્ય સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ નિર્માણ કાર્ય ફરી શરૂ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર પ્રસંગે પાટણ શહેરમાં ભક્તિ, સેવા અને એકતાનું અનોખું દૃશ્ય નિર્માણ પામ્યું હતું, જે શહેર માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતિક બન્યું છે.
રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ
