અમિત શાહ દ્વારા મહાત્મા મંદિર ખાતે CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું શુભારંભ,ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં.

કેપિટલ મેસેજ, ન્યુઝ
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ આ સમારોહ દરમિયાન 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આ ઉપરાંત, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે તેમજ ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ (CRI) તૈયાર કરવા માટે પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ‘કેર રેટિંગ’ અને ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) સાથે MoU કરવામાં આવ્યા હતા.

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘ડિજિટલ ઇન્ડિયા’નું વિસ્તરણ આજે જાહેર વિતરણ વ્યવસ્થા સુધી પહોંચ્યું છે. કાર્યક્રમ દરમિયાન શુભારંભ કરવામાં આવેલ ગ્રેઇન એટીએમ, અન્ન આપૂર્તિ મશીન અને કઠોળના નવા પેકિંગ તથા ગરિમા પોષણ સહિતના પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ તેને ગરીબોને અન્ન સુરક્ષા આપવામાં વિવિધ ક્રાંતિકારી પહેલ ગણાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીના દિશાદર્શનમાં દેશમાં જનકલ્યાણનો નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. ટેક્નોલોજીના માધ્યમથી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સુવિધાઓ પહોંચાડીને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
