ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ પશ્ચિમ રેલવેના મહત્વના જંકશન સમાન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) ને જોડતા ડભોઇ રેલવે સ્ટેશન પર હાલ મુસાફરોની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સ્ટેશન પર આવેલા જાહેર શૌચાલયો બંધ હાલતમાં હોવાને કારણે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તમામ શૌચાલયો બંધ: સ્ટેશન પરના પુરુષ શૌચાલય તેમજ ખાસ કરીને દિવ્યાંગ (વિકલાંગ) શૌચાલય પણ બંધ હાલતમાં છે. મુસાફરોનો ધસારો: ડભોઇ સ્ટેશન પરથી વડોદરા, છોટાઉદેપુર અને ચાંદોદ-એકતા નગર તરફ જતી આશરે 30 થી 35 ટ્રેનો દરરોજ પસાર થાય છે પ્રવાસીઓની પરેશાની રોજના હજારો મુસાફરો આ સ્ટેશનનો ઉપયોગ કરે છે. શૌચાલય બંધ હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સ્થિતિ અત્યંત દયનીય બની છે દિવ્યાંગ મુસાફરો માટે સૌથી મોટો પ્રશ્ન રેલવે પ્રશાસન દ્વારા દિવ્યાંગો માટે અલગ સુવિધાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ડભોઇ સ્ટેશન પર દિવ્યાંગ શૌચાલયને તાળા લટકતા હોવાથી, શારીરિક અક્ષમતા ધરાવતા મુસાફરોએ ક્યાં જવું? એ એક મોટો માનવીય પ્રશ્ન ઊભો થયો છે તંત્રની ઘોર બેદરકારી એક તરફ સરકાર રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની અને ‘સ્વચ્છ ભારત’ની વાતો કરે છે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળને જોડતા મુખ્ય સ્ટેશન પર પાયાની જરૂરિયાત એવી શૌચાલયની સુવિધા ત્રણ-ત્રણ દિવસથી બંધ છે. મુસાફરોની માંગ છે કે રેલવે સત્તાધીશો તાત્કાલિક આ બાબતે જાગે અને શૌચાલયો ફરી કાર્યરત કરાવે આ સમસ્યાને કારણે પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મુસાફરો દ્વારા ઉગ્ર રજૂઆતની પણ શક્યતા છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
