સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે વાવાઝોડામાં મકાનોને ભારે નુકસાન-ઘરના સામાન, રહેણાંક અને રોજિંદા જીવન પર ભારે અસર પડી

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી.. આબીયાણામાં મકાનોને નુકસાન પહોંચ્યું -કેટલાક ઘરોમાં તો છતનો મોટો ભાગ ધરાશાયી થતા લોકો રાતોરાત ખુલ્લા આકાશ નીચે આવી ગયા…
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે ગત રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. મધરાત્રી બાદ આશરે 3 વાગ્યાના સુમારે અચાનક તેજ પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે ગામના અનેક કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે વાવાઝોડાની તીવ્ર અસરથી મકાનના ટીનના છાપરા ઉડી ગયા હતા, લાકડાના ઢાંચા તૂટી પડ્યા હતા અને ઘરેલું સામાન પણ બરબાદ થયો હતો. કેટલાક ઘરોમાં તો છતનો મોટો ભાગ ધરાશાયી થતા લોકો રાતોરાત ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા.

આ ઘટના દરમિયાન સદનસીબે જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ઘરના સામાન, રહેણાંક અને રોજિંદા જીવન પર ભારે અસર પડી છે. વાવાઝોડાની અસરથી વીજ પુરવઠામાં ખલેલ તેમજ અન્ય સુવિધાઓ પર પણ અસર જોવા મળી રહી છે.
આ વાવાઝોડામાં ચૌહાણ કુબેરભાઈ અણદાભાઈ, ઠાકોર લક્ષ્મણભાઈ રાયમલભાઈ, ઠાકોર મેહુલભાઈ રાજશીભાઈ અને ઠાકોર ઈશ્વરભાઈ ભુપતભાઈના મકાનોને ખાસ કરીને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રાહત અને વળતર આપવાની માંગ ઉઠી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આવી કુદરતી આફતો વખતે તંત્ર દ્વારા ઝડપથી સહાય પહોંચાડવામાં આવે તો પીડિતોને મોટી રાહત મળી શકે.હાલ ગામમાં નુકસાન અંગે આકલન કરી કામગીરી શરૂ કરવામાં આવે અને તંત્ર દ્વારા જરૂરી સહાય પહોંચાડવા માટે પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ
