ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભાવભીની અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગોતરકા બ્રહ્મચારી આશ્રમ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સંત નિજાનંદ સ્વામી બાપુના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારે જ ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો અને દિવસભર હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ મહાદેવ પૂજન, રુદ્રાભિષેક, બિલ્વપત્ર અર્પણ, ધૂન-ભજન, મહાઆરતી તથા શિવભક્તિથી ઓતપ્રોત ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભક્તોએ ઉપવાસ રાખી શ્રદ્ધાપૂર્વક રાત્રિ જાગરણ કર્યું અને ભગવાન શંકરના દર્શન માટે લાંબી કતારો લાગી હતી. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોની સજાવટથી આધ્યાત્મિક માહોલમાં સજાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાદેવના દર્શન કરી ધર્મલાભ લીધો હતો. આગેવાનોએ મહાશિવરાત્રીના પવિત્ર પર્વે સમાજમાં સૌહાર્દ, સંસ્કાર અને આધ્યાત્મિક એકતાનું મહત્વ વ્યક્ત કર્યું હતું.

આયોજકો દ્વારા મોટી સંખ્યામાં આવેલા ભક્તજનો માટે ફરાળી પ્રસાદ અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં સમગ્ર ગોતરકા ગામ શિવમય બની ગયું હતું.
મહાશિવરાત્રીના આ પાવન પર્વે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા સાથે યોજાયેલી ઉજવણીએ ગ્રામજનોમાં અનોખો ઉત્સાહ અને ધાર્મિક આનંદ પાથર્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
