શંખેશ્વરના કુંવારદ ગામે ભવ્ય ‘હિન્દુ સંમેલન’ યોજાયું, પ્રાચીન ઇતિહાસ અને સામાજિક સમરસતા પર અપાયો ભાર

RSS ના શતાબ્દી વર્ષ નિમિત્તે રજૂ થઈ પંચ પરિવર્તનની વાત
કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી ઉપર મૂકાયો ભાર
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામે ‘હિન્દુ સંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નાડોદા રાજપૂત સમાજની વાડી ખાતે થયેલા આ કાર્યક્રમમાં એ વિસ્તારના રણોદ, મુજપુર, લોલાડા, દાંતીસણા, લોટેશ્વર, ખાખબડી અને મકોડીયા ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.
શોભાયાત્રા અને ધર્મધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆતમાં ગામની બાળાઓ દ્વારા કળશ અને કુમકુમ તિલક સાથે ધર્મધ્વજનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ ‘જય શ્રી રામ’ના નિહાળક નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં સભા સ્થળે ધર્મમય માહોલ સર્જાયો.

સંઘની ભૂમિકા અને ઐતિહાસિક મહત્વ આ પ્રસંગે, સામાજિક આગેવાન અને સંઘ કાર્યકર્તા રાજુભાઈ વઢેરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી ૧૦૦ વર્ષના લક્ષ્યો અને સંઘની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી. તેમણે રામ મંદિર અભિયાન અને કુદરતી આફતો દરમિયાન સંઘ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની માહીતી આપી.
ઇતિહાસ સંકલન સમિતિના મંત્રી ડો. ભરતભાઈ ચૌધરીએ આ વિસ્તારના ભવ્ય ભૂતકાળ પર પ્રકાશ મૂકતા જણાવ્યું કે આ ભૂમિનો ઇતિહાસ મહાભારત કાળ જેટલો પ્રાચીન છે. લોહેશ્વર મુકામે મહર્ષિ માર્કન્ડ મુનીનો આશ્રમ અને પાંડવકાલીન શિવલિંગ આની સાક્ષી પૂરે છે. તેમણે ઉમેર્યું કે પાટણની સ્થાપનાનો પાયો સમરસતામાં છે. વીર વનરાજ ચાવડાએ મિત્ર અણહિલ ભરવાડની ધર્મની બહેન શ્રી દેવી અને જૈન મુનિ શીલગુણસૂરી મહારાજના આશીર્વાદથી ૧૨૬૨ વર્ષ પૂર્વે પાટણની સ્થાપના કરી હતી, જે હિન્દુ સમાજની એકતાનું પ્રતીક છે.

પંચ પરિવર્તન અને ગૌ-સંવર્ધનનો સંકલ્પ લેવાયો
આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ‘પંચ પરિવર્તન’ (કુટુંબ પ્રબોધન, પર્યાવરણ જાળવણી, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી અપનાવવું) પર ભાર મૂકવામાં આવ્યો. ગૌ-સંવર્ધન અને પ્રાકૃતિક ખેતી સંયોજક રાજુભાઈ જાદવે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવા અપીલ કરી.
આ કાર્યક્રમમાં શંખેશ્વર તાલુકાના કાર્યવાહી ભરતજી ઠાકોર, ભરતભાઈ ગોહિલ, નવીનભાઈ લકુમ સહિત આગેવાનો, પૂર્વ સરપંચો અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. તેમણે સમાજની એકતા તથા રાષ્ટ્રહિત માટે કટિબદ્ધ થવાની સંકલ્પ લીધો.
