પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ: ૭૦૦ દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટ વિતરણ

૧૨૩ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર : જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ), મહેસાણા દ્વારા કોર્પોરેટ સામાજિક દાયિત્વ (CSR) અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણના સહયોગથી “ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત પાટણ જિલ્લાના ૭૦૦ ટી.બી. દર્દીઓને પોષણ સહાયરૂપ વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો અને તેમના હસ્તે દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ટી.બી.ના સમૂળે નિર્મૂલન માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા આશરે ૪૦૦૦ ટી.બી. દર્દીઓમાંથી ૯૦ ટકા દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટી.બી.મુક્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ટી.બી. અસાધ્ય રોગ નથી; નિયમિત અને સંપૂર્ણ સમયગાળા સુધી દવાઓ લેવાથી રોગ મટી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે પાટણ જિલ્લાની ૧૨૩ ગ્રામ પંચાયતને ટી.બી.મુક્ત જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં જિલ્લાની તમામ ૪૮૬ ગ્રામ પંચાયતોને ટી.બી.મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા અને સરકારની મફત સારવાર તથા પોષણ કીટનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટી.બી. મુક્ત ભારત અભિયાનમાં સૌને જોડાવા અનુરોધ કર્યો હતો.

ડાયરેક્ટર મહેશકુમાર કાપડિયાએ પણ ટી.બી.ના સમૂળે નાબૂદી માટે જનજાગૃતિ અને દર્દીઓએ દવાનો પૂર્ણ કોર્સ પૂર્ણ કરવાનો મહત્વનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં યુજીવીસીએલ સેક્રેટરી એન.એમ. જોષી, ચીફ એન્જિનિયર જે.આર. ચૌધરી, શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવે, ડો. ડી.એન. પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, યુજીવીસીએલના પ્રતિનિધિઓ તેમજ દર્દી અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
