ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર,આચાર્ય, શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણ.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
કેપિટલ મેસેજ, ન્યુઝ
એક શોધથી આત્મવિશ્વાસ સુધીની ભારતની વૈજ્ઞાનિક યાત્રા
ભારતનો ઇતિહાસ માત્ર સંસ્કૃતિ અને આધ્યાત્મનો નથી, તે જિજ્ઞાસા, ગણિત, ખગોળ અને તર્કનો પણ ઇતિહાસ છે. પ્રાચીન ગુરુકુળથી લઈને આધુનિક પ્રયોગશાળાઓ સુધી એક અવિરત વિચારધારા વહેતી રહી છે -“જાણવું છે, સમજવું છે, શોધવું છે.” આજ શોધભાવને આધુનિક યુગમાં વૈશ્વિક માન્યતા અપાવનાર ઐતિહાસિક ક્ષણ 28 ફેબ્રુઆરી, 1928ના દિવસે સર્જાઈ. આ દિવસ આજે સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. આ દિવસ માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિનું સ્મરણ નથી; તે ભારતીય વૈજ્ઞાનિક સ્વાભિમાન, તર્કશક્તિ અને રાષ્ટ્રીય આત્મવિશ્વાસનો ઉત્સવ છે.
28 ફેબ્રુઆરી : વૈશ્વિક માન્યતાનું પ્રારંભબિંદુ
28 ફેબ્રુઆરી, 1928ના રોજ ચંદ્રશેખર વેંકટ રામને (C. V. Raman) વિશ્વ સમક્ષ “Raman Effect” નામની અદ્વિતીય વૈજ્ઞાનિક શોધ રજૂ કરી.
સી. વી. રામનનો જન્મ 7 નવેમ્બર, 1888ના રોજ તામિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી ખાતે થયો હતો. તેઓ વિદ્વાન પરિવારમાં જન્મેલા હતા અને બાળપણથી જ ગણિત તથા ભૌતિકશાસ્ત્ર પ્રત્યે વિશેષ રસ ધરાવતા હતા. તેમની પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણયાત્રા ઉત્તમ પ્રતિભાથી ભરપૂર રહી. પરંતુ તેમની વૈજ્ઞાનિક યાત્રા સરળ નહોતી. તેઓ સંશોધન કાર્ય કરી રહ્યા હતા તે સમય બ્રિટિશ શાસનકાળનો હતો. સંશોધન માટેની સુવિધાઓ મર્યાદિત, સાધનો સામાન્ય અને પરિસ્થિતિઓ પડકારજનક હતી. છતાં ભારતીય મસ્તિષ્કે પ્રકાશ અને પદાર્થની પરસ્પર ક્રિયા અંગે એક નવી સમજણ આપી.
Raman Effect : પ્રકાશમાંથી ઉદભવેલી વૈજ્ઞાનિક ક્રાંતિ
“Raman Effect” દર્શાવે છે કે, જ્યારે પ્રકાશ કોઈ પદાર્થ પર પડે છે ત્યારે તેના થોડા વિખેરાયેલા કિરણોની તરંગલંબાઈ બદલાય છે.
આ બદલાવ પદાર્થની અણુ રચના વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. આ શોધે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર બંને ક્ષેત્રોમાં નવી દિશા આપી.
કહેવાય છે કે, સમુદ્રના નીલા રંગને જોઈ સી. વી. રામનના મનમાં પ્રશ્ન ઊભો થયો કે, – “સમુદ્ર નિલો કેમ દેખાય છે?” આ સામાન્ય દૃશ્ય વૈજ્ઞાનિક મન માટે પ્રશ્ન બની ગયું. આ જિજ્ઞાસાએ પ્રયોગોને જન્મ આપ્યો.
સાધારણ સાધનો અને અવિરત પ્રયત્નોથી, સી. વી. રામને સાબિત કર્યું કે, જ્યારે પ્રકાશ પદાર્થ પર પડે છે ત્યારે વિખેરાયેલા પ્રકાશના થોડા ભાગની ઊર્જામાં સૂક્ષ્મ ફેરફાર થાય છે. આ જ “Raman Effect” છે.
આજે Raman Spectroscopy મેડિકલ નિદાન, કેન્સર સંશોધન, ફાર્માસ્યુટિકલ ગુણવત્તા નિયંત્રણ, ફોરેન્સિક વિશ્લેષણ, નેનો ટેક્નોલોજી અને અવકાશ વિજ્ઞાનમાં ઉપયોગી છે. એક સદી પહેલાં થયેલી શોધ આજે પણ આધુનિક વિજ્ઞાનના કેન્દ્રમાં છે, આજ તેની અખંડ પ્રાસંગિકતા છે.
વૈશ્વિક માન્યતા અને ઐતિહાસિક ગૌરવ
આ અદ્વિતીય શોધ માટે 1930માં સી. વી. રામનને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત થયું. તેઓ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ મેળવનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાઈ વૈજ્ઞાનિક બન્યા. આ ઘટના ભારત માટે ગૌરવપૂર્ણ ઐતિહાસિક મંજિલ બની. આજ કારણે 1986માં ભારત સરકારે 28 ફેબ્રુઆરીને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે જાહેર કર્યો. આ વિજ્ઞાન દિવસની ઉજવણીને કારણે આ દિવસ નવી પેઢીને પ્રેરણા આપી શકે તે મુખ્ય ઉદ્દેશ હતો.
નોબેલ તો એક વખત મળ્યું… તો દર વર્ષે ઉજવણી કેમ?
જો આ દિવસ માત્ર નોબેલ પારિતોષિકની યાદ હોત, તો કદાચ એક વખતની ઉજવણી પૂરતી હોત. પરંતુ, મારી દ્રષ્ટિએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોઈ એક પુરસ્કારની ઉજવણી નથી. તે છે,
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો દિવસ,
પ્રશ્ન પૂછવાની હિંમત જગાડવાનો દિવસ,
તર્ક અને પ્રયોગને પ્રાધાન્ય આપવાનો દિવસ,
અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાનો દિવસ.
ભારતના વૈજ્ઞાનિક ગૌરવની પરંપરા
સી. વી. રામનની શોધે ભારતીય વિજ્ઞાનને વૈશ્વિક માન્યતા અપાવી.
આ પરંપરાને આગળ વધારનાર અનેક મહાન વૈજ્ઞાનિકોએ વિશ્વપટ પર ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. જેમકે,
Homi J. Bhabha – પરમાણુ કાર્યક્રમના પાયાના શિલ્પી
Vikram Sarabhai – ભારતીય અવકાશ કાર્યક્રમના જનક
A. P. J. Abdul Kalam – મિસાઈલ ટેક્નોલોજાના પ્રણેતા
Satyendra Nath Bose – ક્વાન્ટમ ભૌતિકશાસ્ત્રના અગ્રણી
આ બધા યોગદાન અદ્વિતીય છે. પરંતુ C.V. Ramanની શોધને મળેલું પ્રથમ નોબેલ ભારતીય વિજ્ઞાનને વિશ્વ સમક્ષ સત્તાવાર માન્યતા અપાવનાર ક્ષણ બની.
આ પરંપરા જ ભારતના વૈજ્ઞાનિક સ્વાભિમાનનું સાચું પ્રતિબિંબ છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ : રાષ્ટ્રના વિકાસનો આધારસ્તંભ
મારી દૃષ્ટિએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતો સમાજ અંધશ્રદ્ધાથી દૂર રહે છે, નવી શોધોને સ્વીકારે છે અને પ્રગતિને સ્વીકારે છે. આજનું ભારત ડિજિટલ ક્રાંતિ, ચંદ્ર અભિયાન, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને આરોગ્ય સંશોધનમાં આગળ વધી રહ્યું છે. આ બધું વૈજ્ઞાનિક વિચારસરણીનું જ પરિણામ છે.
વિજ્ઞાન અને નવી પેઢી : પ્રશ્નોથી પ્રગતિ
શાળાઓમાં વિજ્ઞાનનું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું ન રહે. પ્રયોગાત્મક અભ્યાસ, પ્રોજેક્ટ આધારિત અભ્યાસ અને “Why Based Learning” જરૂરી છે. વિદ્યાર્થીઓને માત્ર જવાબ આપતા નહીં, પરંતુ પ્રશ્ન પૂછતા શીખવવું જોઈએ.
મને લાગે છે કે, જો દરેક વિદ્યાર્થી દર વર્ષે ઓછામાં ઓછો એક પ્રયોગ કરે, એક સંશોધન પ્રોજેક્ટ રજૂ કરે અને એક નવી વિચારણા પર કામ કરે, તો વિજ્ઞાન દિવસની ઉજવણી સચોટ અર્થમાં સફળ થઈ ગણાશે.
એક વ્યક્તિગત સ્મરણ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો જીવંત અનુભવ
28 ફેબ્રુઆરી, 2019નો દિવસ મારા જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. તે દિવસે હિમાચલ પ્રદેશમાં વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત સંસ્થા “હિમકોષ્ટ”
દ્વારા મને અને મારા આદરણીય ગુરુ ડૉ. ચંદ્રમોલી જોશીને વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત તજજ્ઞ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા.
સંપૂર્ણ અઠવાડિયું અમે હિમાચલ પ્રદેશના
Shimla અને Mandi
સહિત વિવિધ વિસ્તારોમાં વૈદિક ગણિત અને વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપ્યું. વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ, પ્રયોગાત્મક સત્રો અને શિક્ષકો સાથે ચર્ચા કરી તેનાથી સમજાયું કે, વિજ્ઞાનની ભાષા સર્વવ્યાપક છે. જિજ્ઞાસા કોઈ પ્રદેશ કે ભાષાની સીમામાં બંધાતી નથી.
આ અનુભવથી એક વાત સ્પષ્ટ થઈ કે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ માત્ર એક તારીખ નથી; તે એક રાષ્ટ્રીય ચળવળ છે.
પોતાના રાજ્યમાં ઉજવણી ગૌરવની બાબત છે, પરંતુ દેશના બીજા છેડે જઈ જિજ્ઞાસાનો દીપ પ્રગટાવવાનો અવસર મળવો એ મારા જીવનની ઐતિહાસિક ક્ષણ સમાન છે.
વિજ્ઞાન દિવસ : સ્મરણ નહીં, સંકલ્પ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રદર્શનો, સેમિનાર અને સ્પર્ધાઓ સુધી મર્યાદિત ન રહે. મારી દૃષ્ટિએ તે સંકલ્પ દિવસ બને.
“એક વિદ્યાર્થી – એક પ્રયોગ”,
“એક શાળા – એક નવી શોધ”
“સ્થાનિક સમસ્યાઓ માટે વૈજ્ઞાનિક ઉકેલ”
“અંધશ્રદ્ધા સામે જાગૃતિ અભિયાન” વગેરે સંકલ્પો વિધાર્થીઓ માં સિદ્ધ થવા જોઈએ.
વિજ્ઞાન દિવસની સાચી ઉજવણી ત્યારે ગણાય કે, જ્યારે વિદ્યાર્થીઓમાં પ્રશ્નોની સંખ્યા વધે અને તર્કશક્તિ મજબૂત બને.
વિજ્ઞાન : એક જીવનદૃષ્ટિ
28 ફેબ્રુઆરી ભારતના વૈજ્ઞાનિક સ્વાભિમાનનો પ્રતીક દિવસ છે. એક જિજ્ઞાસુ મનથી શરૂ થયેલી શોધે રાષ્ટ્રને વૈશ્વિક ઓળખ અપાવી.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણને યાદ અપાવે છે કે, મહાન શોધો પ્રશ્નોથી જન્મે છે અને પ્રશ્નો પ્રગતિનું પ્રથમ પગલું છે.
ચાલો, વિજ્ઞાનને માત્ર વિષય તરીકે નહીં, પરંતુ જીવનદૃષ્ટિ તરીકે અપનાવીએ…
કારણ કે, જ્યાં પ્રશ્ન છે, ત્યાં પ્રગતિ છે;
અને જ્યાં જિજ્ઞાસા છે, ત્યાં ભવિષ્ય પ્રકાશિત છે.
