રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
રાધનપુરમાં મૂળભૂત સુવિધાઓ માટે તરસતો વોર્ડ નં. 1: નાગરિકોમાં ઉગ્ર રોષ, પાલિકા સામે કડક ચેતવણી..

સમસ્યાઓ અંગે નગરપાલિકા, સંબંધિત વિભાગો અને જવાબદાર અધિકારીઓને અનેકવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી: સ્થાનિકો
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર શહેરમાં વિકાસ અને મૂળભૂત સુવિધાઓના દાવાઓ વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ એકદમ વિપરીત હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. શહેરના વોર્ડ નં. 1 હેઠળ આવેલા સથવારાવાસ અને પીરવાળી શેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકો અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને અસંતોષ ફાટી નીકળ્યો છે.
આ વિસ્તારના નાગરિકોની વેદના અને રોજબરોજની મુશ્કેલીઓ સમજવા માટે નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રહીશોએ ખુલ્લેઆમ પોતાની વ્યથા વ્યક્ત કરી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી સમયે વિકાસના મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સુધી એકપણ વચન જમીન પર ઉતર્યું નથી.

રહીશોના જણાવ્યા મુજબ, વિસ્તારની રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. અનેક સ્થળોએ રસ્તાઓ તૂટી ગયા છે, ખાડાઓના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને સ્કૂલ જતા બાળકો માટે રોજિંદું જીવન મુશ્કેલ બની ગયું છે. વરસાદી મોસમમાં આ સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ વિસ્તારમાં ગટર વ્યવસ્થાનો પણ બેફામ ભંગાર હાલ જોવા મળી રહ્યો છે. ગટરોની સમયસર સફાઈ ન થતાં ગંદકી, દુર્ગંધ અને જીવાતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગટરનું ગંદુ પાણી અનેક વખત રસ્તા પર ફરી વળતું હોવાની પણ ફરિયાદો સ્થાનિકોએ કરી હતી. જેના કારણે આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
સ્થાનિક રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેઓને પીવાના પાણીના નામે ગંદુ અને ભેળસેળયુક્ત પાણી મળતું હોવાથી પરિવારના આરોગ્ય પર સીધી અસર પડી રહી છે. શુદ્ધ પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ ન હોવી એ પાલિકા તંત્ર માટે શરમજનક બાબત ગણાવી રહીશોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. “અમે ટેક્સ ભરીએ, મત આપીએ, છતાં જીવન માટેની જરૂરી સુવિધાઓથી વંચિત રહીશું તો પછી નાગરિક તરીકે આપણો અધિકાર ક્યાં ગયો?” — એવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો હતો.

આ ઉપરાંત વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા પણ દિવસેને દિવસે ગંભીર બની રહી હોવાનું જણાવાયું હતું. રસ્તાઓ પર રખડતા ઢોરને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે, નાના બાળકો અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય સતત રહે છે, છતાં જવાબદાર તંત્ર આ મુદ્દે પણ મૌન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
રહીશોએ આક્ષેપ કર્યો હતો કે આ તમામ સમસ્યાઓ અંગે નગરપાલિકા, સંબંધિત વિભાગો અને જવાબદાર અધિકારીઓને અનેકવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. કાગળો પર કામ થતું હોવાના દાવા થાય છે, પરંતુ હકીકતમાં લોકો આજે પણ ગંદકી, ગટર, ગંદુ પાણી અને બેદરકારી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોમાં ખાસ કરીને આ મુદ્દે વધુ રોષ જોવા મળ્યો કે સત્તાપક્ષના જવાબદાર કોર્પોરેટરો અને પ્રતિનિધિઓ પણ વિસ્તારની મુલાકાત લેતા નથી. લોકોનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન મત માગવા દરવાજે દરવાજે આવતા લોકો હવે સમસ્યાઓ સાંભળવા પણ તૈયાર નથી. જેના કારણે નાગરિકોમાં “મત બાદ માત્ર અવગણના” જેવી લાગણી વધુ ગાઢ બની રહી છે.
સ્થળ મુલાકાત દરમિયાન નગરસેવક જયાબેન ઠાકોરે ગટરની સાફ સફાઈ તાત્કાલિક કરાવી અને રહીશોને વિશ્વાસ આપ્યો કે તેઓ આ સમગ્ર પ્રશ્નોને નગરપાલિકા સુધી દૃઢતાપૂર્વક પહોંચાડશે અને યોગ્ય ઉકેલ માટે લડત આપશે. જોકે સ્થાનિક રહીશોએ માત્ર આશ્વાસનથી સંતોષ નહીં માનતા, હવે સમસ્યાઓના કાયમી ઉકેલ માટે સ્પષ્ટ સમયમર્યાદા માંગતા તંત્ર સામે કડક વલણ અપનાવ્યું હતું.
રહીશોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આવનારા દિવસોમાં આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે, તો તેઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. સ્થાનિકોમાં એવો પણ આક્રોશ જોવા મળ્યો કે “અમે જે ગંદુ પાણી પીવા મજબૂર છીએ, ગંદકી અને જીવાતો વચ્ચે જીવન જીવીએ છીએ, તેવી જ હકીકત જવાબદાર અધિકારીઓ અને તંત્રને પણ અનુભવાડવાની ફરજ પડશે.”

સ્થાનિક રહીશોએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે જો વોર્ડ નં. 1ની હાલત સુધારવા માટે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય, તો તેઓ નગરપાલિકા ખાતે પહોંચી જવાબદાર સત્તાપક્ષના પ્રતિનિધિઓ તેમજ ચીફ ઓફિસર સામે જોરદાર વિરોધ નોંધાવશે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હવે તેમની સહનશક્તિનો અંત આવી ગયો છે અને જો તંત્ર હજુ પણ આંખ આડા કાન કરશે, તો આંદોલનનો માર્ગ અપનાવવો અનિવાર્ય બનશે.
આ સમગ્ર ઘટનાએ રાધનપુર નગરપાલિકાની કામગીરી, જવાબદારી અને સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિક જવાબદારી ધરાવતા તંત્ર સામે હવે પ્રશ્ન એ છે કે શું આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે વાસ્તવિક કામગીરી થશે કે ફરી એકવાર માત્ર વચનો અને આશ્વાસનોથી જ મામલો દબાવી દેવામાં આવશે?
હવે સમગ્ર શહેરની નજર આ મુદ્દા પર છે.
રાધનપુર નગરપાલિકા તંત્ર વોર્ડ નં. 1ના નાગરિકોને રાહત આપશે કે પછી નાગરિકોના આક્રોશનો જ્વાળામુખી વધુ ભભૂકી ઊઠશે – તે જોવાનું રહ્યું.
રાધનપુરમાં સ્થાનિકોની મુખ્ય ફરિયાદો:
તૂટી પડેલા રોડ-રસ્તાઓ,ગટર સફાઈમાં ભારે બેદરકારી, ગંદુ અને ભેળસેળયુક્ત પીવાનું પાણી,શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરનો આતંક,વારંવાર પાલિકામાં લોકોની વિપક્ષની રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં,સત્તાપક્ષના પ્રતિનિધિઓની અવગણના.. આ તમામ મુદ્દે હવે પાલિકા સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
