નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ

પાટણનો આ નવો બસપોર્ટ પ્રધાનમંત્રીના સર્વાંગી વિકાસના સંકલ્પનું જીવંત ઉદાહરણ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
૩૧ મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું ઓનલાઈન લોકાર્પણ
નવું બસ પોર્ટ એ માત્ર ઈમારત નથી, પણ પાટણના વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે: પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર
કેપિટલ મેસેજ, ન્યુઝ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન (પાટણ) પ્રા.લિ. દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ પાટણ ખાતે નિર્મિત આધુનિક બસપોર્ટનું આજે લોકાપર્ણ કરવામાં આવ્યું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રીબીન કાપી પાટણના આઇકોનિક બસ પોર્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટણ જિલ્લાને ત્રણ નવીન એસી બસો આપવાની જાહેરાત કરી હતી. બસપોર્ટના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નગરદેવી કાલિકા માતાજીના મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની પૂજા અર્ચન કરી આશિર્વાદ મેળવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો સંકલ્પ લીધો હતો અને રાજ્યના દરેક ખૂણે સુવિધાઓ પહોંચે તે દિશામાં સતત કાર્ય થઈ રહ્યું છે. પાટણનો આ નવો બસપોર્ટ એ જ સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. કાલથી અહીંથી દરરોજ કુલ 850 અરાઈવલ અને ડિપાર્ચર સાથે બસોની અવરજવર શરૂ થશે, જેના દ્વારા 20,000થી વધુ મુસાફરોને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર 2027 સુધી રોજના 30 લાખ મુસાફરોને એસ.ટી.ની સુવિધા પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર લઈને આગળ વધી રહી છે.
આ બસપોર્ટ માત્ર સુવિધા નહીં, પરંતુ પાટણની નવી ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. આ આધુનિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે. ખાસ કરીને સ્વચ્છતા જાળવવી આપણી સૌની જવાબદારી છે, કચરો કચરાપેટીમાં નાખીને આપણે આ સુવિધાને વધુ સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ છીએ.
આગામી 31મી તારીખે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું લોકાર્પણ થશે. આ ઉમેરો પાટણની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે. ચાલો, આપણે સૌ મળીને પાટણના વિકાસ અને ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ કરીએ.

મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આજે પાટણ માટે ગૌરવ અને આનંદનો ઐતિહાસિક દિવસ છે. નવા બસ પોર્ટનું લોકાર્પણ માત્ર ઈમારતનું ઉદ્ઘાટન નહીં, પરંતુ લોકોની સુખાકારી અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે. આ આધુનિક સુવિધા લાખો મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર પ્રવાસનો વિશ્વાસ આપશે અને પાટણને નવી ઓળખ આપશે.
તેમણે ઉમેર્યું કે આ બસ પોર્ટ સામાન્ય નાગરિકો માટે ગૌરવનું પ્રતીક છે, જેને સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર રાખવાની જવાબદારી આપણે સૌની છે.
નવીન બસપોર્ટ અંદાજે ૧૫,૯૭૪ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને આશરે રૂપિયા ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસપોર્ટમાં મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ,બલવંત સિંહ રાજપુત, બનાસકાંઠા રેન્જ આઈ.જી પિરિક્ષિતા રાઠોડ, ક્લેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
