ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઈ/કરજણ:
રેલવે પ્રશાસન અને સ્થાનિક નેતાઓ દ્વારા જે ટ્રેનનું મોટા ઉપાડે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે ડભોઈ-કરજણ ટ્રેન માત્ર ૨૪ કલાકમાં જ પાટા પરથી ઉતરી ગઈ હોય તેમ બંધ થઈ ગઈ છે. ઉદ્ઘાટન સમયે ફોટા પડાવવા માટે પડાપડી કરતા નેતાઓ હવે ગાયબ જણાતા મુસાફરોમાં નેતાઓ ગયા ક્યાં તેવો વેધક સવાલ ઉઠી રહ્યો છે.શું છે સમગ્ર મામલો તાજેતરમાં ડભોઈ અને કરજણ રેલવે સ્ટેશન પરથી વડોદરા-ડભોઈ-કરજણ ટ્રેનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલવે મંત્રી કે સ્થાનિક નેતાઓ દ્વારા લીલી ઝંડી બતાવીને મુસાફરોને નવી સુવિધાના સપના બતાવવામાં આવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, ઉદ્ઘાટનના બીજા જ દિવસથી આ ટ્રેન અચાનક બંધ કરી દેવામાં આવી છે.

મુસાફરોની હાલાકી અને તંત્રની ઉદાસીનતા
રોજની હાલાકી: ડભોઈ અને કરજણ વચ્ચે અપડાઉન કરતા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ રોજ આશા સાથે સ્ટેશન પર આવે છે.ટિકિટ બારી પર મોટો આંચકો: જ્યારે મુસાફરો ટિકિટ લેવા બારી પર જાય છે, ત્યારે તેમને જાણવા મળે છે કે ટ્રેન તો બંધ છે. આને કારણે મુસાફરોએ મોડા ઘરે પરત ફરવું પડે છે અથવા મોંઘી ખાનગી ગાડીઓનો સહારો લેવો પડે છે.કાગળ પરની સુવિધા: લોકોમાં એવી ચર્ચા છે કે શું આ ટ્રેન માત્ર કાગળ પર જ ચલાવવાની હતી? જો માત્ર એક જ દિવસ ચલાવવી હતી તો આટલા મોટા આયોજન અને ઉદ્ઘાટનનો શું અર્થ જનતાના વેધક સવાલો ઉદ્ઘાટન વખતે તો નેતાઓની ભીડ જામી હતી, પણ આજે જ્યારે જનતા હેરાન થાય છે ત્યારે કોઈ જવાબ આપવા તૈયાર નથી. શું આ માત્ર ચૂંટણીલક્ષી ગતકડું હતું કે રેલ્વે તંત્રનું મિસ મેનેજમેન્ટ એક સ્થાનિક મુસાફર ક્યારે ફરી દોડશે ટ્રેન
હાલમાં ડભોઈ અને કરજણ બંને સ્ટેશનો પર મુસાફરો ટ્રેન ક્યારે શરૂ થશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે રેલવે તંત્ર દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં ટ્રેન નિયમિત શરૂ કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
