ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શોભાયાત્રા સાથે ઉજવણી

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ નગરમાં જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની ૨૬૨૪મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ અવસરે સોમવારે સવારે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના તથા આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ડભોઇ જૈન વાગા થી નીકળી ભારત ટોકીઝ , ટાવર ,લાલ બજાર થઈને શોભાયાત્રા જૈન મંદિર ખાતે પહોંચતા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાન મહાવીર સ્વામીના પારણું ઝુલાવવાનો પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભાવભેર ભાગ લીધો હતો. ભગવાન મહાવીર સ્વામી દ્વારા દર્શાવાયેલ તપસ્યા, અહિંસા, સત્ય અને પરોપકારનો માર્ગ સમાજ અને રાષ્ટ્ર માટે માર્ગદર્શક બની રહ્યો છે. આ મહોત્સવ દ્વારા આ શાશ્વત મૂલ્યોને પુન: યાદ કરવામાં આવ્યા હતા. આ રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ડભોઇ ખાતે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી વિજયદેવસુરી જૈન સંઘ ના આગેવાનો પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ઘડિયાળી, ટ્રસ્ટી પ્રકાશ ભાઈ ભાટપુરવાળા ,રાજુભાઈ લિંગસ્થળીવાળા, ઇન્દ્રવદનભાઈ પારેખ, પિન્કેશભાઈ ઘડિયાળી , માર્ગવભાઈ કનાયડાવાળા તેમજ અન્ય ટ્રસ્ટી ગણ,તથા જૈન સમાજ ના ભાઈ -બહેનો મોટી સંખ્યામાં શોભાયાત્રા મા જોડાયા હતા.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
