સમી તાલુકાના રામપુરા ગામમાં સરપંચ સામે ગ્રામજનોની લેખિત અરજી.

બાંધકામ રજાચિઠ્ઠી આપવા ઇનકાર અને ચૂંટણી અદાવત રાખી સરકારી કામ ન કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ, તપાસની માંગ ઊઠી..
ગામના અરજદારોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અરજી કરી યોગ્ય તપાસની માંગ કરી..
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સમી તાલુકાના રામપુરા ગામમાં સરપંચ સામે ગામના કેટલાક અરજદારોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અરજી કરી યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. અરજીમાં સરપંચ દ્વારા ગામલોકોને સરકારી કામગીરીમાં સહકાર ન આપતા હોવાના તેમજ ચૂંટણીની અદાવત રાખી કામ ન કરવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ રામપુરા ગામના જુના રામપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર વાસુભાઈ જેસંગભાઈ, રબારી મુકેશભાઈ શીવાભાઈ તથા સંજયભાઈ ઈશ્વરભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. અરજદારોના જણાવ્યા મુજબ ગામમાં બાંધકામ કરવા માટે જરૂરી રજાચિઠ્ઠી (પરમિશન) મેળવવા માટે સરપંચ પાસે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે જરૂરી સહી કરવામાં આવતી નથી અને ઇરાદાપૂર્વક કામમાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે બાંધકામ માટે જરૂરી રજાચિઠ્ઠી મેળવવા અંગે રજૂઆત કરતાં સરપંચે અરજદારોને કહ્યું હતું કે “તમે લોકોએ મને ચૂંટણીમાં મત આપ્યો નથી, તેથી હું તમારું કામ નહીં કરું.” ઉપરાંત “જ્યાં અરજી કરવી હોય ત્યાં કરો, હું સહી નહીં કરું. સરકાર મને એ માટે પગાર આપતી નથી કે તમને સહી કરી આપું” તેમ કહી ધમકી આપવામાં આવી હોવાનું પણ અરજદારો દ્વારા અરજીમાં લગઉં કરવામાં આવ્યું છે.

અરજદારોના જણાવ્યા મુજબ સરપંચે ચૂંટણીની અદાવત રાખી “જે લોકોએ મને મત આપ્યો છે તેમનું જ કામ થશે, બીજાનું નહીં થાય” તેવી પણ વાત કરી હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે ગામમાં અસંતોષનો માહોલ સર્જાયો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
અરજદારોના જણાવ્યા મુજબ ગામના લોકો સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી પ્રક્રિયાઓ માટે સરપંચના સહકાર પર આધાર રાખતા હોય છે. પરંતુ સરપંચ દ્વારા વ્યક્તિગત અને ચૂંટણી સંબંધિત અદાવત રાખી સામાન્ય નાગરિકોના કામમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે બાંધકામ જેવી જરૂરી કામગીરી અટવાઈ રહી હોવાનું પણ અરજદારોનું કહેવું છે.
આ સમગ્ર મામલે અરજદારો દ્વારા સમી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અરજી આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ બાંધકામ માટે જરૂરી રજાચિઠ્ઠી આપવામાં આવે તે માટે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી હોવાનું જણાવ્યુ છે. હાલ આ અરજીને લઈને તાલુકા કક્ષાએ શું પગલાં લેવાશે તે અંગે ગામલોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
