રાધનપુર કોલેજની NSS વાર્ષિક શિબિરનું ભવ્ય સમાપન – ગુલાબપુરામાં સપ્તાહભર સેવા, સ્વચ્છતા અને જાગૃતિના કાર્યક્રમો યોજાયા

શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, આરોગ્ય જાગૃતિ, વ્યસનમુક્તિ અભિયાન, શિક્ષણ પ્રેરણા, મહિલા સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું…
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાની રાધનપુર કોલેજ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત રાધનપુર તાલુકાના ગુલાબપુરા ગામે તા. 11/02/2026 થી તા. 17/02/2026 દરમિયાન સપ્તાહભર વાર્ષિક શિબિર યોજાઈ હતી. ગ્રામ વિકાસ અને સામાજિક જવાબદારીના સંદેશ સાથે યોજાયેલી આ શિબિરમાં સ્વયંસેવક વિદ્યાર્થીઓએ સેવા, સ્વચ્છતા અને જનજાગૃતિના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા.
શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, આરોગ્ય જાગૃતિ, વ્યસનમુક્તિ અભિયાન, શિક્ષણ પ્રેરણા, મહિલા સશક્તિકરણ અંગે માર્ગદર્શન તથા ગ્રામજનો સાથે સંવાદ જેવા લોકહિતકારી કાર્યક્રમો યોજાયા હતા. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે સકારાત્મક જોડાણ સર્જાતા શિબિરને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.
શિબિરનો પૂર્ણાહુતિ સમારોહ તા.16 ફેબ્રુઆરીની રાત્રે ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટ પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરના સમાપન પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર, ડૉ. નવીનભાઈ ઠક્કર, ડૉ. પરેશભાઈ દરજી, નિકિતાબેન દરજી, બાર એસોશિયનના ઉપપ્રમુખ દિલીપભાઈ પૂજારા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનો દ્વારા NSS ની સેવાભાવી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપવામાં આવી. સ્વયંસેવકોને પ્રમાણપત્રો અને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી.
સમગ્ર શિબિર તથા કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉ. તુષારભાઈ વ્યાસ અને ડૉ. સુરેશભાઈ ઓઝાએ સુચારુ રીતે કર્યું હતું. શિબિરના સફળ આયોજન બદલ કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
