પાટણ:રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજનમાં નગરપાલિકાના ઉડ્યા ધજાગરા: બીજા જ દિવસે 95% સ્ટોલ ખાલી.

લાખો રૂપિયાનો ખર્ચ છતાં સ્વચ્છતા, ટોયલેટ અને પ્રચારનો અભાવ: સામાજિક કાર્યકરનો પાલિકા સામે રોષ.
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાને લઈને હવે વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. એક તરફ મંત્રીના હાથે ધામધૂમથી ઉદ્ઘાટન કરાયેલા સ્વદેશી મેળામાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ બીજા જ દિવસે મેળાના મોટાભાગના સ્ટોલ ખાલી જોવા મળતા સમગ્ર આયોજન પર અનેક સવાલો ઊભા થયા છે.
આ સાથે જ શહેરમાં સ્વચ્છતા, તૂટી ગયેલા રસ્તા અને ગટર જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
રાધનપુરમાં આયોજિત સ્વદેશી મેળામાં ખાણી-પીણી અને સ્વદેશી ઉત્પાદનો માટે અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ મેળાના બીજા જ દિવસે અનેક સ્ટોલ ખાલી જોવા મળ્યા હતા. માહિતી મુજબ લગભગ 95 ટકા જેટલા સ્ટોલ બંધ અથવા ખાલી જોવા મળતા સમગ્ર આયોજન પર સવાલો ઊભા થયા છે.
મેળા સ્થળે સવારથી જ સ્ટોલ નજીક કચરો અને અસ્વચ્છતા જોવા મળતા વેપારીઓ અને મુલાકાતીઓમાં અસંતોષ ફેલાયો હતો. કેટલાક સ્ટોલ ધારકોએ પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પોતાનો સ્ટોલ છોડીને ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત સ્વદેશી કપડાં માટે ફાળવાયેલા કેટલાક સ્ટોલ પણ ખાલી જોવા મળ્યા હતા, જ્યારે અન્ય પ્રકારના સ્ટોલ જોવા મળતા આયોજનમાં ગેરવ્યવસ્થા સામે આવી હતી.
મેળા સ્થળે ટોયલેટ અને બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે સ્ટોલ ધારકો અને મુલાકાતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વની વાત એ પણ સામે આવી છે કે મેળાની યોગ્ય રીતે જાહેરાત ન થવાને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘણા લોકોને તો મેળાની જાણ પણ નહોતી.
આ મુદ્દે સોશિયલ મીડિયામાં ખાસ કરીને વોટ્સએપ ગ્રુપોમાં અનેક પોસ્ટરો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા પોસ્ટરોમાં એક તરફ રાધનપુર શહેરના તૂટી ગયેલા રસ્તા, ગંદકી અને ગટર સમસ્યાઓ દર્શાવવામાં આવી છે, તો બીજી તરફ સ્વદેશી મેળાની ભવ્યતા બતાવવામાં આવી રહી છે.
“રાધનપુર એક શહેર – બે ચહેરા” જેવા શબ્દો સાથે શહેરની વાસ્તવિક સ્થિતિ અને મેળાની ભવ્યતા વચ્ચેનો તફાવત દર્શાવતા પોસ્ટરોમાં અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ સમગ્ર મુદ્દે સામાજિક મહિલા કાર્યકર જ્યોતિબેન જોષીએ પણ નગરપાલિકા સામે કડક આક્ષેપો કર્યા છે.
તેમણે જણાવ્યું કે રાધનપુર શહેરમાં વર્ષોથી રસ્તા, ગટર અને સ્વચ્છતાની સમસ્યાઓ યથાવત છે. છતાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
રાધનપુર શહેરમાં સફાઈની ગંભીર સમસ્યા છે. રસ્તા અને ગટરનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે. પરંતુ નગરપાલિકા સ્વદેશી મેળાના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. શહેરના વિકાસ અને સ્વચ્છતા પર ધ્યાન આપવાની જરૂર છે તેવા આક્ષેપ જ્યોતિબેન જોષી દ્વારા કરાયા છે..

વાયરલ પોસ્ટરોમાં એ પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે ટેક્સ ભરતા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ કેમ મળતી નથી અને શહેરના વિકાસને પ્રાથમિકતા કેમ આપવામાં આવતી નથી.
મેળો કુલ છ દિવસ માટે આયોજન કરવામાં આવ્યો છે, પરંતુ બીજા જ દિવસે સ્ટોલ ખાલી રહેતા અને જનસહભાગિતાનો અભાવ જોવા મળતા સરકારના લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.
હવે જોવાનું રહ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મુદ્દા અને નાગરિકોના આક્ષેપોને લઈને રાધનપુર નગરપાલિકા તંત્ર શું સ્પષ્ટતા કરે છે અને શહેરની મૂળભૂત સમસ્યાઓના ઉકેલ માટે શું પગલાં લે છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
