કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ ખાતે મધમાખી પાલન અને વ્યવસ્થાપન વિષયક પાંચ દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ (સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, જી. પાટણ) ખાતે તા. ૦૯/૦૨/૨૦૨૬ થી ૧૩/૦૨/૨૦૨૬ દરમિયાન “મધમાખી પાલન અને વ્યવસ્થાપન” વિષય પર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. તાલીમ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના કુલ ૫૫ મધમાખી પાલનમાં રસ ધરાવતા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના શુભારંભ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમાર તાલીમાર્થીઓનું સ્વાગત કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જંતુનાશકોના અતિશય અને અયોગ્ય છંટકાવને કારણે પર્યાવરણમાં મધમાખીઓની સંખ્યા સતત ઘટી રહી છે, જેના પરિણામે પાકોમાં પરાગસંચયની પ્રક્રિયા પ્રભાવિત થઈ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડે છે. સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) પદ્ધતિ અપનાવવાથી જંતુનાશકોના વપરાશમાં ઘટાડો કરી શકાય છે, જેનાથી પાક સંરક્ષણ ખર્ચ ઓછો થાય છે અને ગુણવત્તાસભર તથા રસાયણમુક્ત ઉત્પાદન પ્રાપ્ત થાય છે. સાથે જ મધમાખી પાલન ખેડૂતો માટે વધારાની આવકનું સશક્ત સાધન બની શકે છે.

તાલીમ દરમિયાન નિષ્ણાંતો દ્વારા મધમાખી પાલન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં મધમાખી પાલનની શરૂઆત માટે જરૂરી તૈયારી, સાધનોની પસંદગી, ઋતુઆધારિત સંભાળ અને વ્યવસ્થાપન, પરાગરજ તથા મધુરસ આપતી વનસ્પતિઓની ઓળખ, તેમજ મધ કાઢવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓને ચલવાડા ખાતે મધમાખી ઉછેર એકમની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં સ્થળ પર જ પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ તાલીમથી તેઓ મધમાખી પાલન શરૂ કરવા માટે પ્રેરિત થયા છે અને ભવિષ્યમાં તેને આવકવર્ધક વ્યવસાય તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
