પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાથી પાટણના પરિવારને સંકટ સમયે ₹2 લાખની આર્થિક સહાય

માત્ર ₹436 પ્રીમિયમથી પરિવારને મળ્યો ₹2 લાખનો સુરક્ષા સહારો
બેંક ખાતા ધારક રોહિતકુમાર મોચીના અવસાન બાદ પત્ની ગીતાબેનને મળ્યા ₹2 લાખ
કેપિટલ મેસેજ, ન્યુઝ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અનેક પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આર્થિક સહારો બની રહી છે. ખૂબ જ ઓછા પ્રીમિયમમાં મળતી આ યોજના અંતર્ગત અચાનક મૃત્યુની પરિસ્થિતિમાં પરિવારને ₹2 લાખની સહાય મળે છે, જે સંકટની ઘડીએ મોટી મદદરૂપ સાબિત થાય છે. પાટણના એક પરિવાર માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે.
પાટણના રોહિતકુમાર કનુભાઈ મોચી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારક હતા. તેઓ દર વર્ષે માત્ર ₹436 પ્રીમિયમ ભરી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલા હતા. અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું દુર્ભાગ્યવશ અવસાન થયું. આ મુશ્કેલ સમયમાં યોજનાના નિયમ મુજબ તેમની પત્ની ગીતાબેનને ₹2 લાખની સહાય પ્રાપ્ત થઈ છે.

મૃતકના ભાઈ શૈલેષકુમાર કનુભાઈએ જણાવ્યું હતું કે આ સહાય તેમના પરિવાર માટે મોટી આર્થિક મદદરૂપ બની છે. ખાસ કરીને રોહિતભાઈના બે બાળકોના અભ્યાસ માટે આ રકમ મહત્વપૂર્ણ સહારો સાબિત થઇ છે. સરકાર દ્વારા મળેલી આ મદદ માટે પરિવારજનોએ સરકારનો અને બેંક સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાટણ બ્રાંચના મેનેજર મઘાભાઈ ચૌધરીએ જણાવ્યું કે મૃતક રોહિતભાઈના પત્નીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત બે લાખ વીમા સહાય આપવામાં આવી છે. બેંકના સ્ટાફ દ્વારા ગ્રાહકોને આ યોજના વિશે સમજાવવામાં આવે છે. માત્ર ₹436 વાર્ષિક પ્રીમિયમમાં ₹2 લાખનો વીમો મળતો હોવાથી દરેક ખાતાધારકોએ આ યોજનાનો લાભ લેવા માટે આગળ આવવું જોઈએ, જેથી સંકટ સમયે પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે.
