રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાલનપુર રેલ્વે સ્ટેશન પરથી સગીરા અને કિશોર મળી આવ્યા, મદદ કરનાર બે મહિલાઓ ઝડપાઈ
રાધનપુર વિસ્તારમાં સગીર વયની બાળકીના અપહરણના કેસમાં પોલીસે ઝડપી અને સઘન કાર્યવાહી કરતાં સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાલનપુર રેલ્વે સ્ટેશન પરથી ભોગ બનનાર સગીરા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા છે. આ કેસમાં અપહરણને મદદ કરનાર બે મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
રાધનપુર પોલીસ સ્ટેશનમાં તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ સગીરાના અપહરણ અંગે BNS કલમ 137(02) હેઠળ ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ તથા માનવ સૂત્રોના આધારે સતત તપાસ ચલાવવામાં આવી.
તપાસ દરમિયાન મળેલા ઇનપુટના આધારે પોલીસે પાલનપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શોધખોળ કરી અને ભોગ બનનાર સગીરા તેમજ કિશોરને કબજે લીધા હતા. ત્યારબાદ પ્રાથમિક પૂછપરછ અને વધુ તપાસમાં ઘટનાની ગંભીરતા સામે આવતા કેસમાં BNS કલમ 64(2)(એમ), 87, 54 તેમજ પોક્સો એક્ટની કલમ 3(એ), 4, 5(એલ), 6, 11(4), 12 અને 18નો ઉમેરો કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં ખુલ્યું કે અપહરણમાં અન્ય વ્યક્તિઓની મદદ લેવાઈ હતી. આ આધારે પોલીસે મધુબેન જનકકુમાર જોષી (ઉંમર 34, રહે. રાધનપુર) તથા કંકુબેન રાજાભાઈ સોલંકી (ઉંમર 56, રહે. દિલ્હી, મૂળ રાધનપુર) ની ધરપકડ કરી છે.હાલમાં રાધનપુર પોલીસ દ્વારા વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે અને કેસના તમામ પાસાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
