રાધનપુરમાં વિશ્વ માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી- ગુજરાતી ભાષાના ગૌરવનું ગાન ગુંજ્યું

ગુજરાત સાહિત્ય અકાદમી અને નવનિર્માણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે 450થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક કાર્યક્રમ
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર ખાતે વિશ્વ માતૃભાષા સપ્તાહ નિમિત્તે “માતૃભાષા મહોત્સવ 2026”ની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી નવનિર્માણ વિદ્યાલય/વિદ્યામંદિર, રાધનપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના મહિમાનું ગૌરવગાન થયું અને વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના પ્રબળ બનતી જોવા મળી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. સમગ્ર આયોજન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ.ભાગ્યેશ જહાના માર્ગદર્શન તથા ડૉ. જયેન્દ્રસિંહ જાદવની પ્રેરણાથી યોજાયું હતું. “મળી માતૃભાષા મને ગુજરાતી” કાર્યક્રમ દ્વારા ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો.
આ અવસરે મુખ્ય વક્તા તરીકે રઘુભાઈ રબારી (રાઘવ વઢિયારી), મનુભાઈ ઠાકોર (મનન) અને કલ્પેશભાઈ ચાવડા (સહજ કલ્પ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવતા પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પોતાની ભાષા માત્ર સંવાદનું માધ્યમ નહીં પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભીખાભાઈ ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે મહેશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા. આયોજનમાં સંયોજક તરીકે જયરાજસિંહ નાડોદા અને સંચાલક તરીકે કલ્પેશભાઈ સોલંકીએ કામગીરી સંભાળી હતી.
શાળાની ધોરણ 6 અને 8ની વિદ્યાર્થીનીઓએ સ્વાગતગીત રજૂ કરી મહેમાનોનું આત્મીય સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીની નેહાબા રાજપૂતે માતૃભાષા વિષય પર અસરકારક વક્તવ્ય રજૂ કર્યું જ્યારે નિષ્ઠાબેને માતૃભાષા પર આધારિત ગીત રજૂ કરી કાર્યક્રમને સાંસ્કૃતિક રંગ આપ્યો હતો. ઉપરાંત માતૃભાષાના મહિમા પર આધારિત વિડિયો પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.
કાર્યક્રમમાં આચાર્ય વિશાલભાઈ પ્રજાપતિ, શિક્ષકગણ, વાલીગણ તથા અંદાજે 450 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામે માતૃભાષાના મહત્વ અંગે જાગૃતિ મેળવી ગુજરાતી ભાષાના સંરક્ષણ અને પ્રચાર માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે ચા-અલ્પાહાર ની વ્યવસ્થા સાથે મહોત્સવનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સાથે સંસ્કૃતિના સંકલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
