વિકસિત ભારત : 2047 લક્ષ્યાંક સિદ્ધ કરવા ખેતી વિકાસ અને સામાજિક સમરસતા અનિવાર્ય – ડૉ. પ્રકાશ પટેલ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ ખાતે આવેલી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તા. 16 ફેબ્રુઆરી 2026ના રોજ “વિકસિત ભારત : 2047” વિષયક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વડનગરના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રકાશભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમણે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત : 2047નું સ્વપ્ન સાકાર કરવા દેશના વિવિધ ક્ષેત્રોમાં સમાન વિકાસ અનિવાર્ય છે. ખાસ કરીને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના વિકાસ દ્વારા દેશનો ઝડપી અને સમતોલ વિકાસ શક્ય બને છે.
તેમણે સૂક્ષ્મ, લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ દ્વારા રોજગારી સર્જન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવાથી આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે. તેમણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિસ્તરણ દ્વારા દરેક રોજગાર ઇચ્છુક નાગરિકને રોજગારી ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ડૉ. પટેલે અમેરિકા અને ચીનની આર્થિક સ્થિતિ સાથે ભારતની વર્તમાન પરિસ્થિતિની તુલના કરતાં જણાવ્યું હતું કે ભારતે હજુ લાંબી મજલ કાપવાની છે. વિકસિત ભારતના લક્ષ્યાંક માટે આર્થિક વિકાસ સાથે સામાજિક સમરસતા, અંધશ્રદ્ધા નિવારણ અને માનસિક પરિવર્તન પણ એટલું જ જરૂરી છે.
કાર્યક્રમની શરૂઆત અંગ્રેજી વિભાગની અધ્યાપિકા ડૉ. પદ્માક્ષીબેન વ્યાસની પ્રાર્થનાથી થઈ હતી. કોલેજના આચાર્ય ડૉ. રીટાબેન પારેખે આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. આશુતોષ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ડૉ. દલાભાઈ બોકાએ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના સફળ આયોજન માટે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અલ્પેશ પટેલ અને ડૉ. ભરતભાઈ ચૌધરીએ વિશેષ કામગીરી બજાવી હતી. અંતે સંસ્થાના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. જય ધ્રુવે કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
