ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા

કેપિટલ મેસેજ, ન્યુઝ
ઝીલિયા ગામે લુખ્ખા તત્વોનો હિચકારો હુમલો, પોલીસ વાન પર પણ પથ્થરમારો; પોલીસ નાસી છૂટી હોવાના CCTV દ્રશ્યો બાદ કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નો
112 જનરક્ષક વાનને નુકસાન, પોલીસે એક ગાડી સાથે 3 આરોપીને ડિટેઈન કર્યા; રાયોટિંગ સહિતની કલમો હેઠળ 2 FIR નોંધાઈ- PI,ASI અને HC તથા 5 GRD ફરજ મોફૂંક
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર તોડફોડ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવમાં પોલીસે 3 શખ્સોને અને એક ગાડીને ડિટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે બે અલગ અલગ FIR નોંધાઈ છે.
ઝીલિયા ગામના રબારીવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનકકુમાર દિનુભાઈ દેસાઈએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 15 માર્ચ 2026ની રાત્રે આશરે 11:45 વાગ્યે ફરિયાદી મહેસાણા ખાતે હતા ત્યારે ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરીને હુમલાની જાણ કરી હતી. ફોનમાં જણાવાયું હતું કે કેટલાક ઈસમો ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા છે.

આ ઘટનાની જાણ થતાં 112 પોલીસ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, થોડા સમય બાદ 5 થી 6 ગાડીઓમાં આવેલા 15 થી 20 જેટલા ઈસમો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે ત્રાટક્યા હતા. તેઓએ ગેટ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી. પથ્થરમારામાં પોલીસની ગાડીને પણ નુકસાન થયું હતું.
બીજે દિવસે સવારે ફરિયાદીએ ફાર્મ હાઉસ પર જઈ તપાસ કરતાં ગેટ અને દીવાલની ડિઝાઇનમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. ગેટ પર લગાવેલ ગંગામાના કાચની ફ્રેમવાળા ફોટોને પણ તોડી નાખવામાં આવ્યો હતો. ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે આશરે 8 ગાડીઓમાં 15 થી 20 જેટલા ઈસમો હથિયારો સાથે આવ્યા હતા.
CCTV ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ ભાવેશભાઈ બળદેવભાઈ દેસાઈના નામનો ઉપયોગ કરી જીતુભા મુડેઠાવાળા દ્વારા ખોટી રીતે બદનામ કરવામાં આવતા રાખેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે અગાઉથી વર્દી મળતા 112 પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક કેટલાક ઈસમો ગાડીઓમાં આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન 3 શખ્સોને અને એક ગાડીને ડિટેઈન કરવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે રાયોટિંગ, હથિયારબંધીના જાહેરનામાના ભંગ અને ફરજમાં અવરોધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવમાં કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે.
આ બનાવ બાદ ચાણસ્મા પોલીસ સ્ટેશનના PI આર.એચ. સોલંકી, ASI હર્ષભાઈ અરજનભાઈ અને હેડ કોન્ટેબલ સંજયકુમાર મોહનલાલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ઉપરાંત ફરજ પર રહેલા 5 GRD ને પણ તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝીલિયા ગામે બનનાર રામાપીર મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવાના મુદ્દે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ વચ્ચે થયેલી બોલાચાલી અને મનદુઃખના કારણે આ સમગ્ર ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
