દુર્લભ “વ્હિપલ્સ સર્જરી” સફળ : ૨૮ વર્ષીય મહિલાને મળ્યું નવજીવન

કેપિટલ મેસેજ, ન્યુઝ
સર્જરી વિભાગ, જીએમઇઆરએસ હોસ્પિટલ ધારપુર
પાટણ જિલ્લાના ધારપુર સ્થિત જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગ દ્વારા એક અત્યંત દુર્લભ અને જટીલ ગણાતી “વ્હિપલ્સ સર્જરી” સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ૨૮ વર્ષીય મહિલાને પેરીએમ્પ્યુલરી કાર્સીનોમા (એડેનોકાર્સીનોમા) નામના ગંભીર કેન્સર રોગમાંથી મુક્ત કરી નવી જિંદગી અપાઈ હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ તા. ૧૯-૧૧-૨૦૨૫ના રોજ પાટણ તાલુકાના બાલીસણા ગામની મહિલાને પેટમાં ભારે દુખાવો, ઉલ્ટી, પીળિયાની અસર તથા અશક્તિ જેવી તકલીફોને કારણે હોસ્પિટલના સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. નિદાન માટે લેબોરેટરી તપાસ, પેટની સોનોગ્રાફી, સિટી સ્કેન તથા એન્ડોસ્કોપિક તપાસ કરવામાં આવી. ત્યારબાદ સ્વાદુપિંડ, પિત્તનળી તથા હોજરી પાસેના નાના આંતરડાના ભાગમાંથી નમૂનો લઈ બાયોપ્સી તથા બાયોકેમિકલ કેન્સર માર્કર ટેસ્ટ કરાતા એડેનોકાર્સીનોમા કેન્સર હોવાનો નિદાન થયો.
ડોક્ટરોએ દર્દી તથા પરિવારજનોને રોગની ગંભીરતા સમજાવી સર્જરી જ એકમાત્ર સારવાર હોવાનું જણાવ્યું. પરિવારની સંમતિ બાદ તા. ૦૫-૧૨-૨૦૨૫ના રોજ ઓપરેશન હાથ ધરાયું.
આ જટીલ સર્જરી ડો. જયેશ ગોહેલ ની આગેવાની હેઠળ ડો. રવિ પટેલ, ડો. મિતેષ ચાવડા, ડો. કમલ ભાટીયા, ડો. દિપેશ જોષી, ડો. અનુરાગ દિક્ષિત તથા એનેસ્થેટિસ્ટ ડો. હન્ના મુસಾ ની ટીમ દ્વારા કરવામાં આવી.
લગભગ ૬ થી ૭ કલાક ચાલેલ આ અત્યંત જટીલ ઓપરેશન સફળ રહ્યું. ઓપરેશન બાદ દર્દીને સઘન સારવાર હેઠળ રાખી જરૂરી દવાઓ, ઈન્જેક્શન તથા સતત મોનીટરીંગ દ્વારા સ્વસ્થ બનાવવામાં આવી. હાલ દર્દીની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં આ સર્જરીને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
